જીવનમાં ક્યારેય કોઈ તો
મોટા ભોજન સમારંભમાં તમે ગયા હશો. વિશાળ, આકર્ષક, ઝળહળતો હૉલ. એક તરફ સ્ટેજ પર
દુલ્હા-દુલ્હન, બાજુમાં સંગીતના સૂર રેલાવતી ડાન્સપાર્ટી. ગીતોની છોળો વચ્ચે
ઝૂમતા, ગાતા જાનૈયા. સામે ખૂણામાં ખાણી-પાણીના કાઉન્ટર્સ. એક એકથી ચડિયાતી
વાનગીઓની સુગંધથી મઘમઘતું વાતાવરણ. દરવાજે અનિચ્છનીય લોકોને અટકાવવા માટે
સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત.
આ પાર્ટી છે ગુજરાતનું
હાલનું સત્તાકારણ-રાજકારણ. દુલ્હા છે નરેન્દ્રભાઈ મોદી. દુલ્હન વિષે મારે કઇં જ
કહેવાનું નથી. જાનૈયા છે ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો, સમર્થકો અને લાભાર્થીઓ. હૉલની બહાર ઉભા છે અનિચ્છનીય લોકો એટલે કે મુસલમાનો. એમને અટકાવવા માટે દરવાજે ઉભા
છે એમના જેવા જ તાકાતવર દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકો, ઠાકોરો, દેવી-પૂજાકો,
રબારીઓ વગેરે.
ગુજરાતના રાજકારણમાં
મુસ્લિમ પ્રતિનિધિત્વને ખતમ થયે પચીસ વર્ષ વીતી ગયા. થોડીક હકીકતો, તથ્યો વાગોળી
લઇએ. ૧૯૮૦માં ગુજરાતની છઠ્ઠી વિધાનસભામાં આઠ મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા હતા. આજે
માત્ર ત્રણ ધારાસભ્યો મુસ્લિમ છે. વાંકાનેરમાં ૧૯૮૦માં પીરઝાદ મંજૂર હુસેન
(કોંગ્રેસ) ચૂંટાયા હતા. આજે વાંકાનેરમાંથી ભાજપના જ્યોત્સના સોમાણી ચૂંટાયા છે. જામનગરમાં મહમદ હુસેન બલોચ હતા. આજે ત્યાં વસુબેન ત્રિવેદી છે. સિદ્ધપુરમાં
શરીફભાઈ ભટીના સ્થાને બલવંતસિંહ રાજપૂત અને ગોધરામાં અબ્દુલરહીમ ખાલપાની જગ્યાએ
હરેશ ભટ્ટ ચૂંટાયા છે. ઠાસરામાં યાસીન મિયાં મલેક હતા. આજે ભવાનસિંહ ચૌહાણ છે. ભરૂચના મહમદ પટેલ હવે ભૂતકાળ બની ચૂક્યા છે. ભરૂચની બેઠક પર રમેશ મિસ્ત્રી ચૂંટાયા
છે. સૂરત (પશ્ચિમ)ની બેઠક પરથી ૧૯૮૦માં મહમદ સુરતી ચૂંટાયા હતા, આજે ત્યાંથી ભાવના
ચપટવાલા ચૂંટાયા છે.
પચીસ વર્ષમાં મુસ્લિમોએ
એમના છ ધારાસભ્યો ગુમાવ્યા. એમના સ્થાને નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં એક કોંગ્રેસી
છે, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત. બાકીની પાંચે પાંચ બેઠક ભાજપે અંકે કરી છે. આ છ
બેઠકોનું જાતિ પ્રમાણે વિશ્લેષણ કરીએ, તો બે બ્રાહ્મણો, બે દરબારો (ઓબીસી નહીં),
એક પટેલ, એક વણિક, એક મિસ્ત્રી ચૂંટાયા છે. આમાંની એક પણ બેઠક પર દલિત, આદિવાસી કે
બક્ષીપંચનો માણસ ચૂંટાયો નથી. આ છે ભાજપના હિન્દુત્વનો રાજકીય અર્થ.
મુસલમાનોનું રાજકીય નુકશાન
દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચ માટે રાજકીય ફાયદો નથી. મુસલમાનોની રાજકીય બાદબાકી
થાય તો, એથી કંઈ દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચના લોકોનું રાજકીય પ્રભુત્વ વધતું
નથી. મુસલમાનોની બરબાદીથી દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકોએ હરખાવા જેવું નથી.
ગોધરા-કાંડ પછીના ત્રણ જ
મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં થયેલી ૨૯૪૫ ધરપકડોમાં ૧૫૦૦ મુસલમાન, ૭૪૭ દલિત અને
૭૫૭ બક્ષીપંચના લોકો હતા. માત્ર બે બ્રાહ્મણ, બે વાણિયા, ૧૧ પટેલો અને ૧૬ અન્ય
સવર્ણો હતા. આ છે ભાજપનો અસલી ચહેરો. ભાજપના ભગવાને કેટલાક લોકોને ધારાસભામાં જવા
માટે સર્જયા છે, તો કેટલાકને જેલમાં જવા માટે.
ગાલીબની જેમ આપણે કહેવું પડે,
હમેં માલૂમ હૈ હિન્દુત્વ કી હકીકત લેકીન
દલિતોં કો કટવાને, નરેન્દ્ર યહ ખયાલ અચ્છા હૈ.
પેલા ભોજન સમારંભને ફરી યાદ કરું. અંદર વાઈબ્રન્ટ
ગુજરાતીઓની પાર્ટી ચાલે છે અને બહાર ચાલે છે હત્યાકાંડો. અંદર પતંગ-ઉત્સવો, ગરબા
મહોત્સવો ચાલે છે અને બહાર દલિતો-આદિવાસીઓ-પછાતો, મુસલમાનો સાથે શેરીયુદ્ધમાં
વ્યસ્ત છે. અંદર ગુજરાતની અસ્મિતાનો ભાંગરો વટાય છે, બહાર ગુજરાતીઓ લાજશરમ નેવે
મૂકીને, નરાધમ બનીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભ ત્રિશૂળથી ચીરવાના કાળા કામ કરે છે. અંદર રતિલાલ વર્મા નરેન્દ્ર મોદીના જૂતાને પાલીસ કરે છે બહાર એ જ નામનો છોકરો ચાની
કીટલી પર માત્ર એક રૂપિયો લઈ લોકોના જૂતા સાફ કરે છે. અંદર ફકીરભાઈ વાઘેલા કુંવરબાઈનું
મામેરું વહેંચે છે બહાર દલિત સમાજની કુંવરબાઈઓ મલ્ટીપ્લેક્સો અને કોમ્પલેક્સોમાં
જાત તોડીને કચરાં પોતા કરે છે; ફાટેલી સાડીથી પોતાની દુબળી કાયા ઢાંકવાની
મથામણ કરે છે અને એના ભાઇઓ રાજપુર-ગોમતીપુરમાં, દાણીલીમડામાં માથે કેસરિયા કફન
બાંધીને, ધારિયા લઈને, મુસલમાનો સામે જંગે ચડે છે. હૉલની અંદર દિવંગત દલિતોની
ઠાઠડીના ખર્ચા પેટે રૂ. ૧૫૦૦ સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ
ચૂકવાય છે અને બહાર ગુજરાતના ગામે ગામ દલિતોની સ્મશાનભૂમિઓને માથાભારે સવર્ણ ગુન્ડાઓ
દબાણ કરીને હડપ કરે છે.
હિન્દુત્વનો આ
સાચો અર્થ છે. હિન્દુત્વ શું છે? રામાયણ-મહાભારતની વાર્તાઓ? કોઈ મુરારીની કથાઓ?
ના, હિન્દુત્વ એટલે ઉપલી જાતિઓના ઉપલાં વર્ગોના
આર્થિક હિતોની રક્ષા કરવાની ઢાલ, કવચ, છત્ર. ચંદ્રકાંત બક્ષી નામના ચિતરી
ચડે તેવા કોમવાદી કટારલેખકે એટલે જ કહેલું
કે backward caste is sword of Hinduism. પછાત જાતિઓ હિન્દુત્વની
તલવાર છે. આ તલવાર હિન્દુ સમાજની મુઠ્ઠીભર ઉપલી જાતિઓના ઉપલા વર્ગોના આર્થિક
હિતોની રક્ષા કરવા માટે વપરાય છે.
બ્રાહ્મણો બે હજાર વર્ષ
પહેલાં બોલતા હતા:
આભિ: સ્પૃધો મિથતીરહિષજયન્ન
મિત્રસ્ય મન્યુમિન્હ આમિર્વિશ્વા અભિપૂજો વિષૂચીરાર્યાય વિશોએવ તારીહોસ્ત:
અર્થાત્
"હે દેવ આ બધાથી (મંત્રોથી) એમને હરાવ. એ દુશ્મનોને, જે અમારી સામે લડે છે. અક્ષત રહીને, વેરીઓના ક્રોધને રોધ. અમારી પ્રાર્થનોઓ વડે, અમારા દુશ્મનોને દરેક દિશામાં
નસાડી મૂક. દાસોની જાતિઓને આર્યોને તાબે આણ."
પછી એ ઇન્દ્ર
દાસવર્ણને નીચે નમાવે છે અને ગુફાઓમાં હાંકી કાઢે છે.
યો દાસં વર્ણમધરં
ગુહાક:
આજે દાસવર્ણને
સ્થાને મુસલમાન છે. ઇન્દ્રના સ્થાને નરેન્દ્ર છે. નવો શ્લોક આવો છે:
"અને પછી એ
નરેન્દ્ર મુસલમાનોને નીચે નમાવે છે અને જુહાપુરામાં હાંકી કાઢે છે."
હિન્દુત્વ એટલે
માર્કેટીંગ. અમદાવાદના રીલીફ રોડ પર ગંગારામ ચેમ્બર્સમાં સંત આશારામ સ્ટોર્સ છે. ક્યારેક સમય મળે તો એની મુલાકાત લેજો. સ્ટોર્સમાં એક અર્ધનગ્ન સ્ત્રીને આગોશમાં
લઈને ઉભેલા એવા જ એક અર્ધનગ્ન યુવાનનું ચિત્ર છે. બાજુમાં જ બ્રેસિયરની જાહેરાત
કરતી મૉડલ યુવતીના સેક્સી અપીલ ધરાવતા પોસ્ટર્સ ટીંગાડેલા છે. અહીં બ્રા, પેન્ટીક,
નીકર્સ, ઘાઘરા, ગાઉન બધું જ વેચાય છે. અમદાવાદમાં સંત
આશારામ સ્ટોર્સમાં લોકોને બ્રા, પેન્ટીઝ વેચવાના ને ડાંગના આદિવાસીને વેચવાનું
હિન્દુત્વ. જ્યાં જે માલ ખપે ત્યાં તે વેચવાનો. (આ લખાયા પછી હાલ સંત આશારામ સ્ટોર્સનું નામ બદલાઈ ગયું છે.)
આ છે
હિન્દુત્વનું માર્કેટિંગ. માર્કેટિંગ તો એનજીઓવાળા પણ કરે છે. આજથી દસ વર્ષ પહેલાં
આજની તારીખે માથે મેલું ઉપાડવાની પ્રથા અંગે કોઈ અખબારી વૃતાંત આવ્યો હોય, તો આજે
એની યાદમાં ‘માથે મેલુ નાબૂદી દિવસ' જાહેર કરવો. માર્કેટીંગનો આ પણ એક પ્રકાર છે. પણ હિન્દુત્વનું માર્કેટિંગ આટલું નિર્દોષ, નિરુપદ્રવી, બચકાના નથી. હિન્દુત્વનું
માર્કેટીંગ આથી વિશેષ ઉપદ્રવી, ઘાતક અને કાતિલાના છે. એ આપણી એનજીઓના માર્કેટિંગની
જેમ પોલીસ્ડ, સેફિસ્ટીકેટેડ નથી. એમાં આવા સેમીનાર, સિમ્પોઝિયમ, ચર્ચાગોષ્ઠિઓ થતાં
નથી. એમાં તો સરેઆમ, ચોકઠા વચ્ચે ત્રિશૂળો ઉંચા કરીને કહેવાતી ધર્મ-રક્ષાના શપથ
લેવાય છે.
(તા. ૧૨ માર્ચ, ૨૦૦૬. અમદાવાદમાં ગુજરાત સામાજિક મંચના ઉપક્રમે અમન સમુદાય આયોજિત સંમેલનમાં આપેલા
વક્તવ્યના કેટલાક અંશો)
બોલ્ડ નિરીક્ષણ રાજુ ભાઈ---
જવાબ આપોકાઢી નાખો